ઇજાગ્રસ્તોને લઇ જવા એમ્બ્યુલન્સ નહીં પહોંચતા કામદારો અને બાળકો જમીન પર પડી રહ્યા હતા
વડોદરા શહેરમાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જેમાં માતા-પુત્રની સહિત 4ના મોત થયા છે. જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને લઇ જવા એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચતા કામદારો સહિત બાળકો જમીન પર પડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડે મલબો હટાવવાની કામગીરી શરૂ કરી છે.
ઘટનાની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપાઈ
કંપની પર પોલીસ કમિશનર શરશેરસિંઘ અને મેયર કેયુર રોકડિયા પહોંચ્યા હતા. પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપાઈ છે. આ ઘટના ગંભીર છે અને પ્રાથમિક તબક્કે કંપની સંચાલકોની બેદરકારી સામે આવી છે. ઘટનામાં 4 મોત નીપજ્યા છે અને 10 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બાળકી અને માતાનું મોત થયું એટલે ઘટના ખૂબ ગંભીર છે
મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, ફેક્ટરી ઇન્સ્પેક્ટરે યોગ્ય નિરીક્ષણ કર્યું હોત તો ઘટના ન બની હોત. બાળકી અને તેની માતાનું મોત થયું એટલે ઘટના ખૂબ ગંભીર છે. કલેકટર, જી.પી.સી.બી અને પોલીસ તંત્રને તપાસની સૂચના આપવામાં આવી છે.
કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો તૂટી ગઇ
કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા અને કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કંપનીએ બોઇલરની બાજુમાં ગેરકાયદે ઘરો બનાવ્યા
ફાયર સ્ટેશનના અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા છે. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને ટેમ્પરેચર પ્રોપર મેઇન્ટેઇન ન થતાં બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે. કંપનીનું જી.ઈ.બીનું કલેક્શન કાપી નાખવામાં આવ્યું છે.
બોઇલર નીચે અન્ય કામદારો દબાયેલાની શક્યતા
ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેર્યા હતા. આ દુર્ઘટનામાં માતા-પુત્રની સહિત 4ના મોત થયા છે. બ્લાસ્ટ થયેલા બોઇલર નીચે અન્ય કામદારો દબાયેલાની શક્યતા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા ક્રેન દ્વારા મલબો હટાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પહેલા ઘોઘંબાની GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો
આ પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં 16 ડિસેમ્બરના રોજ સવારે પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 20 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ઘોઘંબાની જીએફએલકંપનીમાં દુર્ઘટનાને પગલે 10 કિલોમીટર વિસ્તારના ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો
(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/24/07-vadodara-makarpura-gidc-blast-rohit_1640324806/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!