વ્યક્તિ જ્યારે બીમારીના સંકજામાં આવે છે, ત્યારે સમગ્ર કમાયેલી પૂંજી પણ જતી રહે છે. ક્યારેક એવી ગંભીર બીમારી આવતાં પરિવાર પર આભ તૂટી પડે છે. નડિયાદના 9 વર્ષનો ‘માન્ય’ છેલ્લા 4 વર્ષથી DMD (Duchenne Muscular Dystrophy) નામની બીમારીનો સામનો કરી રહ્યો છે. આ બીમારીએ ‘માન્ય’ને કમરથી નીચેના ભાગમાં લગભગ 70% જેટલી સંકજામા લીધો છે.
માન્યના માતા-પિતા અને પરિવારજનોએ અનેક તબીબોને નિદાન માટે બતાવ્યું છે પણ આની કોઈ દવા હાલ સુધી શોધાઈ નથી. વિદેશમા તેના ક્લિનીકલ ટ્રાયલ ચાલુ છે, જેનુ એક ઇન્જેક્શન હાલ 4 કરોડ રૂપિયાનું આવે છે. જોકે, મધ્યમ પરિવારથી આવતા માન્યાના માતા-પિતા પાસે આટલી માતબર રકમ નથી. આથી આજે માન્યાના માતા-પિતાએ લોકોને દાન કરવા જાહેર અપીલ કરી છે.
નડિયાદ પશ્ચિમમાં અનેરી હાઈટ્સના સી બ્લોકના 102મા રહેતા ઋષિભાઈ મયંકભાઇ બ્રહ્મભટ્ટ પોતે શહેરમાં આવેલી રેસ્ટોરન્ટમા સર્વિસ કરે છે. તેમના ઘરે 9 વર્ષ અગાઉ એક દીકરાનો જન્મ થયો હતો. જેનુ પરિવારે ‘માન્ય’ નામ આપ્યું હતું. જોકે, કોને ખબર હશે કે ‘માન્ય’ને કોઈ ગંભીર બીમારી સામે જજુમવુ પડશે.
માન્ય જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે તેને DMD (Duchenne Muscular Dystrophy) નામની બીમારી થઇ હતી. શરૂઆતમાં માન્ય ચાલવામા અને ઉભું રહેવામાં પણ ઘણી તકલીફો થતા તેના માતા પિતાએ નિદાન કરાવતા આ ગંભીર પ્રકારની બીમારી હોવાનું સામે આવ્યું હતું. તબીબોના મતે આ ગંભીર બીમારી ખૂબ જ જટિલ છે. જે 10 લાખ બાળકોમાંથી સરેરાશ એક બાળકને થાય છે.
આ સાંભળીને ઋષિભાઈ અને તેમની પત્ની ચોધાર આંસુએ રડવા લાગ્યા અને પોતાના દીકરા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતાં. તબીબો જણાવે છે કે, સામાન્ય ભાષામાં કહીએ તો આ એક એવી બીમારી છે જેમાં જન્મના બે ત્રણ વર્ષમાં કમરના નીચેના સ્નાયુ નબળા પડવા લાગે છે.
બાળક માટે ચાલવું તો દૂર ટેકો લઈને ઊભું રહેવું પણ મુશ્કેલ બને છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ બીમારી ઉધઇની જેમ શરીરના અન્ય ભાગોમાં પ્રસરે છે અને શરીરને ખોખલું કરી નાખે છે. ઉપરાંત હૃદય શ્વસન માટેના સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને જિંદગી જોખમાય છે.
‘માન્ય’ના માતાપિતા અને પરિવારજનો રાજ્યના મોટા મોટા સ્પેશિયાલિસ્ટો ડોક્ટરો પાસે અને દેશના અન્ય દવાખાનાઓને ખૂંદી વળ્યા છે. ઉપરાંત દિલ્હી ખાતે આવેલી એમ્સ હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. જ્યાંના તબીબોએ પણ હાથ અધ્ધર કરી જણાવ્યું કે, આ ગંભીર બીમારીનો કોઈ ઈલાજ નથી.
તબીબોએ પરિવારને હોવાનું જણાવ્યું હતું કે, આવી ગંભીર બીમારી સામે લડવાની દવા હાલ સુધી આપણાં દેશમાં નથી શોધાઇ. તેના ક્લિનિકલ ટ્રાયલ માટેની દવા વિદેશમાં શોધાઇ છે, જેનું એક ઇન્જેક્શન લગભગ 4 કરોડના ખર્ચે આવે છે. જોકે, પરિવાર પાસે આટલી મોટી રકમ ન હોવાથી લોકોને મદદ માટે અપીલ કરી છે પોતાના વ્હાલસોયાને બચાવવા સોયની અણી સુધી પ્રયાસો પરિવાર કરી રહ્યો છે.
‘માન્ય’ના પિતા ઋષિભાઈ બ્રહ્મભટ્ટે નડિયાદમાં એક કેમ્પેઇન શરૂ કરી લોકોને મદદ માટે જાહેર અપીલ કરી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ મદદ માંગી રહ્યાં છે. આમ છેલ્લા 13 દિવસમાં ત્રણેક લાખ જેટલું ભંડોળ ભેગું કર્યું છે. જોકે, ચાર કરોડની સામે આ રકમ તો કંઈ ન કહેવાય ત્યારે ઋષિભાઈને છેલ્લો ઉપાય દેખાતા તેમણે આજે પત્રકાર પરિષદ કરી લોકો પાસે મદદ માંગી છે.
ખાસ કરીને NRI વર્ગ ચારોતર પંથકમાં વધુ હોવાથી આજે આ NRI લોકો સામે ઋષિભાઈએ હાથ ફેલાવ્યો છે. આ તમામ વચ્ચે અણસમજુ ‘માન્ય’તો આ તમામ બાબતથી અજાણ છે. તેને તો આવી બીમારીને કંઈ ખબર જ નથી. માન્યને અન્ય બાળકની જેમ મેદાનમાં ક્રિકેટ રમવા જવું છે. ઉપરાંત પપ્પા મમ્મી સાથે પકડદાવ રમવું છે, દાદી સાથે ચાલતા મંદિરે દર્શને જવું છે અને સ્કૂલમાં પણ જવું છે.
જેવી કાલીઘેલી ભાષામાં વાત કરી રહ્યો છે. માન્યની માતાએ જણાવ્યું હતું કે, મારો બાબો પહેલાં એકદમ ઠીક હતો. પાંચ વર્ષનો થયો ત્યારે તકલીફ થઇ. પછી તો તે સ્કૂલ બસમાંથી ઉતરી કે ચડી પણનહોતો શકતો. તેને સીડી ચડવામાં અને ઉતરવામાં પણ તકલીફ થતી હતી. લોકડાઉનના સમયમાં તેની તકલીફો વધી ગઈ અને અમે એની વેદના જોઈ શકતા નથી.
હાલ માન્ય ફક્ત પગના પંજા ઉપર જ ચાલી રહ્યો છે. અને તેને વોશરૂમ જવું હોય તો પણ તેને સહારો લેવો પડે છે. પ્લીઝ મારા બાળકને બચાવવા હેલ્પ કરો. ઋષિભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જ્યારે માન્ય નો જન્મ થયો ત્યારે કોઈ તકલીફ ન હતી, પરંતુ તે જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે ખબર પડી કે તેને પગમાં દુખાવો થાય છે અને એ બાદ અમે શરૂઆતમાં અમારા ફેમિલી ફીજીશ્યન પાસે ગયા હતા.
જ્યાં તબીબે જણાવ્યું કે નોર્મલ સાયકલિંગ અને રમતના કારણે પગ દુખાવો થતો હશે અને પ્રોટીનની ઉણપ હોવાથી આમ થતું હશે. તેમ જણાવ્યું હતું. થોડા માસ પછી આ દુખાવો વધારે થતા અમદાવાદ ખાતે ન્યુરોલોજીસ્ટને બતાવવામાં આવ્યું હતું જ્યાં તમામ રિપોર્ટો કરી જાણવા મળ્યું કે, માન્યને DMD નામની બીમારી છે.
જેના ઈલાજની દવા હાલ સુધી આપણા દેશમાં તો ક્યાં પુરા વિશ્વમાં શોધાય નથી. હાલ વિદેશમાં આ બીમારીના ઈલાજની દવા ક્લિનિકલ ટ્રાયલ રૂપે શરૂ છે. જે ચાર કરોડ રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે. આ માટે જ અમે લોકો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
અત્યારે ન્યુરોલોજીસ્ટ અમદાવાદ ખાતેની દવા માન્યને ચાલુ છે અમે દિલ્હી એમ્સમાં પણ તપાસ કરાવી હતી. જ્યાં આપણા દેશમાં આના ઈલાજની કોઈ દવા નથી. જેવો જવાબ મળ્યો હતો. ત્યારબાદ મે એક એનજીઓનો સંપર્ક કરી ફોરેન કન્ટ્રીના ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. તો તેમણે આ મામલે જણાવ્યું કે, આ ઇન્જેક્શન જો મળી જાય તો રોગ ત્યાં અટકી જાય એમ છે. જોકે, તેની કોસ્ટ 4 કરોડ રૂપિયા છે.
આથી અમે સૌ અપીલ કરીએ છીએ અને આ નડિયાદ નહીં પરંતુ જિલ્લાનો દિકરો છે એમ સમજી મહેરબાની કરી અમને મદદ કરો. ઋષિભાઈ બ્રહ્મભટ્ટનું મિત્ર મંડળ પણ માન્યની મદદે આવ્યું છે. હર્ષિત નામના મિત્રએ જણાવ્યું હતું કે, અમે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લોકો વચ્ચે પહોંચી રહ્યા છીએ.
આ બીમારીના ઈલાજ માટે અમે ભંડોળ એકઠું કરી રહ્યા છીએ. હાલ સુધી અમે દિવસ રાત મહેનત કરી લગભગ ત્રણ લાખ જેટલું ભંડોળ એકઠું કર્યું છે, હજુ અન્ય બાકી છે. ત્યારે આવનાર દિવસોમાં સ્કૂલોમાં જઈને પણ અમે મદદ માંગીશું. જોકે, સમય ઓછો છે અને નાણાંની કિંમત મોટી છતાં પણ અમે છેલ્લા શ્વાસ સુધી હાર નહીં માનીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!